Sat,27 April 2024,1:30 pm
Print
header

ગુજસેલમાં આ શું ગોરખધંધા થઇ રહ્યાં છે ? હવે મુખ્યપ્રધાન અને રાજ્યપાલની સુરક્ષાને લઇને ઉઠ્યાં સવાલ !

(ફાઇલ ફોટો)

ગાંધીનગરઃ રાજ્ય સરકારની એવિએશન કંપની ગુજસેલ તેના ભ્રષ્ટાચારને કારણે સતત ચર્ચાઓમાં છે, અગાઉ ભ્રષ્ટાચારના કેસમાં એક ઉચ્ચ અધિકારીને હટાવ્યાં હોવા છંતા કંપનીના કામમાં ખાસ સુધારા દેખાતા નથી, આ વખતે મામલો મુખ્યપ્રધાન અને રાજ્યપાલની સુરક્ષા સાથેનો છે. ગુજસેલની બેદરકારીથી મુખ્યપ્રધાન અને રાજ્યપાલની સુરક્ષા સાથે ચેંડા થઇ રહ્યાં હોવાના આરોપ છે. બંને હસ્તીઓના હેલિકોપ્ટર અને પ્લેનની દેખરેખ ગુજસેલ કંપની દ્વારા થાય છે પરંતુ અહીં તો ભરતી પણ ગમે તેમ કરી દેવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.

નિયમોનું ઉલ્લંઘન કરીને ભરતી કરાઇ હોવાના આક્ષેપો

રાજ્ય સરકારે ગુજસેલમાં ચીફ સિક્યોરીટી ઓફિસરની પોસ્ટ મંજૂર કરી છે. તેમ છંતા ગુજસેલમાં આઉટ સોર્સિગ હેઠળ પોસ્ટ ઉભી કરવામાં આવતા વિવાદ ઉભો થયો છે. મુખ્યપ્રધાન અને રાજ્યપાલના હેલિકોપ્ટર-વિમાનનું ક્લીયરન્સ કરતા સીનિયર ચીફ સિક્યોરિટી ઓફિસરની ભરતીમાં મોટું કૌભાંડ થયાનું સામે આવ્યું છે. આ મામલે હવે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થઇ છે. ફરિયાદીએ કહ્યું છે કે ભરતીમાં બીસીએએસ (Bureau of Civil Aviation Security) અને ડીજીસીના (Directorate General of Civil Aviation) નિયમો નેવે મુકીને મનમાની કરાઇ છે અને મુખ્યપ્રધાન-રાજ્યપાલની સુરક્ષામાં ચેડાં કરાયા છે.

મુખ્યપ્રધાન અને રાજ્યપાલશ્રીની સુરક્ષા અતિ મહત્વની

એરપોર્ટ પરથી વિમાન કે હેલિકોપ્ટરના ટેકઓફ પહેલા તેના ક્લિયરન્સની જવાબદારી ચીફ સિક્યોરિટી ઓફિસરની હોય છે. જેમાં આ અધિકારીએ ટેકનીકલ બાબતોથી લઇને તમામ વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે, જેમ કે વિમાન કે હેલિકોપ્ટર ઉડવામાં સક્ષમ છે કે નહીં, તેમાં કોઇ ખામી  તો નથીને, તેમાં કોઇ પ્રતિબંધિત વસ્તુઓ છે કે નહીં, સેફ્ટીને લઇને શું ધ્યાન રાખવામાં આવ્યું છે, એન્જિન બરાબર કામ કરે છે કે નહીં, એરરૂટનું ક્લિયરન્સ, સ્ટાફના ઓળખ પત્રોથી માંડીને તમામ બાબતોનું ધ્યાન ચીફ સિક્યોરિટી ઓફિસરની રાખવાનું હોય છે.

જેથી આ જગ્યા અતિ મહત્વની હોય છે અને તે જગ્યા પર હવે આઉટ સોર્સિંગથી પૂર્વ ડીવાયએસપી હરગોવનદાસ રબારીની ભરતી કરી દેવાઇ છે. ફરિયાદીના કહેવા મુજબ આ વ્યક્તિને એવિએશનનો કોઇ પણ અનુભવ નથી અને તેમને આ મહત્વની જગ્યા પર આઉટ સોર્સિંગથી નોકરી આપી દેવામાં આવી છે, જે રાજકીય હસ્તીઓની સુરક્ષાને લઇને સવાલ ઉભા કરતું પગલું છે.

ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL) એ પૂર્વ ડીવાયએસપીને ઉંચો પગાર આપીને રાખી લીધા છે, પરંતુ શું તેમના એવિએશન વિભાગના અનુભવની તપાસ કરી છે કે નહીં ? શું હેલિકોપ્ટર કે પ્લેનની ટેકનીકલ બાબતોનો અનુભવ છે કે નહીં ? શું આ ભરતીમાં સરકારની પૂર્વ મંજૂરી લેવામાં આવી છે કે નહીં ?

નિયમો મુજબ આ પોસ્ટ માટે કેન્દ્રીય એવિએશન વિભાગ માન્ય ટ્રેનિંગ કરેલી હોવી જોઇએ, તેમ છંતા આ બાબતોનું અહીં ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ છે.

પરિપત્રનું ઉલ્લંઘન કરીને ગોટાળા કરાયા

રાજ્ય સરકાર દ્વારા 11-11-2021 ના ઠરાવ મુજબ વર્ગ 1, 2 અને 3 કર્મચારી-અધિકારીઓ નિવૃતિ પછી જો સરકારી વિભાગમાં ફરી કામ કરવા ઇચ્છતા હોય તો જે તે વિભાગે સરકારની મંજૂરી લેવી જરૂરી છે. પરંતુ આ કેસમાં આવી કોઇ મંજૂરી લેવાઇ છે કે નહીં તે પણ તપાસનો વિષય છે. ત્યારે આ ભરતી બાબતે ઉંડી તપાસ કરીને જવાબદાર જે તે અધિકારીઓ સામે કાર્યવાહી થાય તે જરૂરી છે. કારણ કે આ મામલો રાજ્યપાલ અને મુખ્યપ્રધાન જેવા પદો પર બેઠેલી વ્યક્તિની સુરક્ષા સાથે જોડાયેલો છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch