Sun,19 May 2024,3:47 pm
Print
header

લોકસભા ચૂંટણીઃ શાહ સહિત આ કેન્દ્રીય મંત્રીઓના ભાવિ આજે ઈવીએમમાં થશે કેદ- Gujarat Post

અમદાવાદઃ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું આજે મતદાન છે. બીજા તબક્કામાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર લોકો દ્વારા મતદાન થઈ રહ્યું છે. સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. અનંતનાગ-રાજૌરી લોકસભા સીટ માટે મતદાન હવે ત્રીજા તબક્કાની જગ્યાએ છઠ્ઠા તબક્કામાં થશે. આ તબક્કામાં કેન્દ્ર સરકારના સાત મંત્રીઓનું ભાવિ પણ ઈવીએમમાં કેદ થવાનું છે. આ પ્રધાનોમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો સમાવેશ થાય છે.

અમિત શાહઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. શાહ 2019માં અહીંથી જીત્યા હતા. આ વખતે તેમની સામે કોંગ્રેસના સોનલ પટેલ ઉભા છે.સોનલબેન ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. 2019માં ગાંધીનગર લોકસભા બેઠક પર 69.3% મતદાન થયું હતું. શાહે આજે પરિવાર સાથે અમદાવાદમાં વોટિંગ કર્યુ હતું.

મનસુખ માંડવિયા: મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરમાં ભાજપના ઉમેદવાર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા છે. માંડવિયા અત્યાર સુધી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હતા. આ ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના લલિત વસોયા સામે ચૂંટણી લડી રહ્યાં છે. 2019માં અહીંથી ભાજપના રમેશભાઈ લવજીભાઈ ધડુક જીત્યા હતા. ગત ચૂંટણીમાં પોરબંદર બેઠક પર 58.9% મતદાન નોંધાયું હતું.

જ્યોતિરાદિત્ય સિંધિયાઃ દર વખતની જેમ આ ચૂંટણીમાં પણ ગુના લોકસભા સીટ લોકપ્રિય સીટ બની રહી છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાંથી ગુના લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે. નાગરિક ઉડ્ડયન અને સ્ટીલ મંત્રી સિંધિયા હાલમાં મધ્યપ્રદેશમાંથી ભાજપના રાજ્યસભા સાંસદ છે. આ ચૂંટણી માટે કોંગ્રેસે સિંધિયા સામે રાવ યાદવેન્દ્ર સિંહ યાદવને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ડૉ. કે.પી. યાદવે ગુના બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને હરાવ્યા હતા. તે ચૂંટણીમાં અહીં 73% મતદાન નોંધાયું હતું.

પ્રહલાદ જોશીઃ પ્રહલાદ જોશી પણ એવા મંત્રીઓમાં સામેલ છે જેમનું રાજકીય ભાવિ આ તબક્કામાં દાવ પર છે. કેન્દ્રીય કોલસા અને સંસદીય બાબતોના પ્રધાન કર્ણાટકની ધારવાડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. અહીં કોંગ્રેસે પાર્ટીના યુવા નેતા વિનોદ અસુતીને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના પ્રહલાદ જોશી 2019માં અહીંથી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. ગત ચૂંટણીમાં ધારવાડ બેઠક પર 72.1% મતદાન નોંધાયું હતું.

નારાયણ રાણેઃ મહારાષ્ટ્રની રત્નાગીરી-સિંધુદુર્ગ સીટ પરની લડાઈ પણ રસપ્રદ છે. અહીંથી ભાજપે કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેને મેદાનમાં ઉતાર્યાં છે, અગાઉ રાણે મહારાષ્ટ્રમાંથી ભાજપના રાજ્યસભા સાંસદ હતા. તેઓ કોંકણના કુડાલ વિધાનસભા ક્ષેત્રમાંથી ઘણી વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યાં છે. આ ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી શિવસેના (ઉદ્ધવ જૂથ)ના બે વખત સાંસદ વિનાયક રાઉત સામે લડી રહ્યાં છે. 2019ની લોકસભા ચૂંટણીમાં શિવસેનાના વિનાયક રાઉતે રત્નાગીરી-સિંધુદુર્ગ સીટ પર જીત મેળવી હતી. તે ચૂંટણીમાં અહીં 65.6% મતદાન નોંધાયું હતું.

શ્રીપદ યેસો નાઈક: ત્રીજા તબક્કામાં જે કેન્દ્રીય મંત્રીઓનું ચૂંટણી ભવિષ્ય દાવ પર છે, તેમાં કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગો અને પ્રવાસન રાજ્ય મંત્રી શ્રીપદ યેસો નાઈકનો પણ સમાવેશ થાય છે. નાઈક ઉત્તર ગોવાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે. કોંગ્રેસે તેમની સામે રમાકાંત ખલપને મેદાનમાં ઉતાર્યા છે. લોકસભાના ભૂતપૂર્વ સભ્ય ખલપ ગોવાના નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. શ્રીપદ યેસો નાઈક 2019ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર ગોવાની બેઠક પરથી જીત્યા હતા અને તે વખતે ચૂંટણીમાં અહીં 79.9% મતદાન નોંધાયું હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch