Mon,13 May 2024,6:05 am
Print
header

ઘણા સમયથી કમલમમાં પણ નથી દેખાતા તેવા ભાજપના પ્રદિપસિંહ વાઘેલા રૂપાલા વિવાદમાં કૂદી પડ્યાં, લખ્યો આ પત્ર- Gujarat Post

અમદાવાદઃ રાજકોટ લોકસભા બેઠકના (Rajkot loksabha seat) ભાજપના ઉમેદવાર (bjp candidate) પરસોત્તમ રૂપાલાએ (parshottam rupala) ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી મામલે ભાજપની મુશ્કેલીઓ વધી રહી છે, ઠેર ઠેર ભાજપના ઉમેદવારોનો વિરોધ શરૂ થઇ ગયો છે.

ભાજપના ક્ષત્રિય નેતાઓને વિવાદ શાંત પાડવા કહેવામાં આવ્યું છે, તેમ છંતા તેઓ આ મામલે નિષ્ફળ દેખાઇ રહ્યાં છે. હવે થોડા સમય પહેલા મોટા વિવાદમાં આવેલા ભાજપના ક્ષત્રિય નેતા પ્રદીપસિંહ વાઘેલાએ (Pradipsinh Vaghela) સમાજને એક પત્ર લખ્યો છે અને આ પત્રની આડમાં તેઓ ફરીથી ભાજપના ઉચ્ચ નેતાઓની નજીક જવા પ્રયાસ કરી રહ્યાં છે.

હવે રહી રહીને નેતાજીને સમાજ યાદ આવ્યો છે અને તેમને લખ્યું છે કે,પ્રદીપસિંહ વાઘેલાના જય માતાજી. ગુજરાતની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને આપ સૌને વિનમ્નતાપૂર્વક આ પત્ર લખી રહ્યો છું. ક્ષત્રિય સમાજ હંમેશા શૌર્ય, ત્યાગ, બલિદાનની ભાવના માટે ઇતિહાસમાં અમર સ્થાન ધરાવે છે.જયારે-જયારે આ દેશને માથે કોઈ આફત આવી છે,ત્યારે ભારતમાતાને અખંડિત રાખવા, મા-ભોમની રક્ષા કરવા આપણા સમાજે સર્વોચ્ચ બલિદાન આપ્યાં છે.

આપણા પૂર્વજોના ત્યાગમય જીવન માટે, તેમની ઉચ્ચ ભાવનાઓ માટે આપણે ગૌરવ અનુભવીએ છીએ. અત્યારે આપણે એ વિચારવાની જરૂર છે કે આપણે કોના સંતાનો છીએ ? આપણા પૂર્વજો કોણ હતા? આપણે કેવી ભવ્ય પરંપરાના વારસદાર છીએ ? ઈતિહાસ સાક્ષી છે કે આ દેશને જોડવા માટે, દેશની એકતાને અખંડિત રાખવા માટે આપણા પૂર્વજોએ દોમ-દોમ સાહ્યબીથી છલકાતા રજવાડા ભારતમાતાની ચરણે અર્પણ કરીને ભવ્ય ભારતના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.

આપણા ઇતિહાસમાંથી આપણને એક જ શીખ મળે છે કે સાચો ક્ષત્રિય કોઈ “વાદ'- “વિવાદ'માં માનતો નથી.ક્ષત્રિયોને માટે તો એક જ વાદ, અને એ આપણો 'રાષ્ટ્રવાદ. આપણા માટે એક જ મંત્ર છે- એ છે “રાષ્ટ્ર પ્રથમ'નો મંત્ર. આપણે સૌએ એ વિચાર કરવાની જરૂર છે કે અત્યારે આ દેશને કોની જરૂર છે? આપણી એ પરંપરા છે કે જે આ દેશ માટે લડશે ક્ષત્રિયો એના માટે માથા આપી દેશે. આ પરંપરાને અખંડિત રાખવા માટેનો આ સુવર્ણ સમય છે.

આ પત્ર દ્વારા હું બે હાથ જોડીને સામાજિક આહ્વાન કરં છું. ક્ષત્રિય- રાજપૂત સમાજના એક દીકરા તરીકે, તમારા નાના ભાઈ તરીકે હું આપ સૌને વિનંતી કરું છું કે કોઈ એક ઘટનાને કારણે આખા દેશના ભવિષ્યને આપણે જોખમમાં મૂકીશું, તો શું આવનારી પેઢીઓ આપણને માફ કરશે ?

આપણે તો “ક્ષમા વીરસ્ય ભૂષણમ' સૂત્રને સાકાર કરનારા સમાજમાંથી આવીએ છીએ. ઇતિહાસમાં એવી અનેક ઘટનાઓ છે કે જેમાં ક્ષત્રિયોએ પોતાની ખાનદાની અને સંસ્કારનું દર્શન કરાવી ક્ષમા આપી છે. શૌર્ય, ધીરજ અને હદયની વિશાળતા એ આપણા ક્ષત્રિય સમાજની મૂળ ઓળખ છે. આ ઓળખને જાળવી રાખવા માટે પણ આપણે નાના- મોટા વિવાદોને ભૂલીને દેશના વ્યાપક હિતમાં વિચારવું રહ્યું.

વર્તમાન સમયમાં દેશના પનોતા પુત્ર અને યશસ્વી પ્રધાનમંત્રીશ્રી માન.નરેન્દ્રભાઈ મોદી ભારતનું સાંસ્કૃતિક પુન: જાગરણ કરી રહ્યાં છે, સનાતન ધર્મની વિચારધારાને મજબૂત બનાવી છે. આપણા દેશને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કરી, જગદ્જનની ભારતમાતાને વિશ્વગુરુ બનાવવા માટે અથાક પ્રયાસો કરી રહ્યાં છે, ત્યારે એક ક્ષત્રિય તરીકે આપણી એ પવિત્ર ફરજ છે કે આપણે તેમની પડખે ઉભા રહીએ. જે સંસ્કૃતિના જતન માટે આપણા પૂર્વજોએ પ્રાણ આપી દીધા છે તે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારા માટે સતત કાર્યરત એવા માન. નરેન્દ્રભાઈ મોદી સાથે રહેવું એ આપણી નૈતિક ફરજ છે.

ક્ષત્રિયો ભાજપના નેતાઓનો જોરદાર વિરોધ કરી રહ્યાં છે, તેવામાં નેતાજીએ રહી રહીને એક પત્ર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે, જો કે અહીં સવાલ એ પણ છે કે શું ક્ષત્રિયો પ્રદિપસિંહ વાઘેલાને કેટલું માને છે ? પોતાને મોદી-શાહના સમકક્ષ માનનારા પ્રદિપસિંહ વાઘેલા ઘણા સમયથી વિવાદ બાદ હાલમાં પાર્ટીના કાર્યક્રમોમાં ઓછા દેખાઇ રહ્યાં છે, કોબામાં ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં પણ તેમના પર પ્રતિબંધ હોય તેમ તેઓ ઓછું આવી રહ્યાં છે, એક સમયે કમલમમાં તેમના નામની બૂમો તો હતી જ. જોવું રહ્યું કે આ પત્રથી તેમને પાર્ટી તરફથી શું ફાયદો મળે છે ?

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch