Sat,27 July 2024,11:09 am
Print
header

કોઈ માઇનો લાલ નથી જન્મ્યો કે જે CAAને ખતમ કરી શકે, આઝમગઢના લાલગંજમાં PM મોદીનો વિપક્ષ પર પ્રહાર

ઉત્તર પ્રદેશઃ લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત 4 તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે અને 3 તબક્કાનું મતદાન હજુ બાકી છે. આ ચૂંટણી માટે સૌથી મહત્વપૂર્ણ રાજ્ય ઉત્તર પ્રદેશ છે, જ્યાં લોકસભાની કુલ 80 બેઠકો છે. દરેક રાજકીય પક્ષ આ બેઠકો જીતવા માંગે છે, જેથી તેઓ સરળતાથી દિલ્હીમાં સત્તા મેળવી શકે. વડાપ્રધાન મોદી ગુરુવારે યુપીના આઝમગઢના લાલગંજમાં જનસભાને સંબોધિત કરવા પહોંચ્યાં હતા. ભાજપે અહીંથી નીલમ સોનકરને ટિકિટ આપી છે. રેલીના મંચ પરથી પીએમ મોદીએ સપા અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતા.

ફરી એકવાર મોદી સરકાર- PM મોદી

પીએમ મોદીએ પોતાની રેલીની શરૂઆત લોકોને રામ-રામ અને ભારત માતાના નારા લગાવીને કરી હતી.રેલીમાં જે લોકોના હાથમાં ફોટોગ્રાફ્સ હતા, તેમની પાસેથી ફોટો પણ મોદીએ માંગ્યા હતા.મોદીએ કહ્યું કે થોડા દિવસો પહેલા તેઓ બનારસમાં હતા અને કાશીના લોકોએ જે રીતે લોકશાહીની ઉજવણી કરી તે શાનદાર હતી. માત્ર કાશીમાં જ નહીં પરંતુ ઉત્તરથી દક્ષિણ અને અટકથી કટક સુધી સમાન વાતાવરણ છે.  ફરીથી અમે જ સત્તા પર આવવાના છીએ,દુનિયા જોઈ રહી છે કે જનતાના આશીર્વાદ ભાજપ અને એનડીએ પર છે. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં માત્ર એક જ નારા સંભળાય છે અને તે છે - ફરી એકવાર મોદી સરકાર.

ભારતના લોકોને મોદીની ગેરંટી પર વિશ્વાસ

પીએમ મોદીએ કહ્યું કે દુનિયા જોઈ રહી છે કે ભારતના લોકો મોદીની ગેરંટી પર કેટલો વિશ્વાસ કરે છે. મોદીની ગેરંટીનો અર્થ શું છે તેનું ઉદાહરણ CAA કાયદો છે. આ કાયદા હેઠળ શરણાર્થીઓને નાગરિકતા આપવાનું કામ શરૂ થઈ ગયું છે. આ તમામ ભાઈઓ અને બહેનો હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, ઈસાઈ છે જેઓ આપણા દેશમાં લાંબા સમયથી શરણાર્થી તરીકે રહે છે. આ બધા ભાગલાનો શિકાર છે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે આ લોકો જ્યારે ઈચ્છે ત્યારે ભારત આવી શકે છે.

પીએમ મોદીએ કહ્યું કે આ લોકોએ પોતાની દીકરીની ઈજ્જત બચાવવા અને ધર્મ બચાવવા માટે ભારત માતાની ગોદમાં આશરો લીધો છે. પરંતુ તેઓ કોંગ્રેસની વોટબેંક ન હોવાથી કોંગ્રેસે તેમની કાળજી લીધી ન હતી. જ્યારે તેમાંથી મોટાભાગના દલિત અને ઓબીસી વર્ગના લોકો છે. કોંગ્રેસ અને તેમના સહયોગીઓએ તેમની સામે અત્યાચાર ગુના કરવામાં કોઈ કસર છોડી નથી. સપા, કોંગ્રેસ વગેરેએ સીએએના નામે એવું જુઠ્ઠાણું ફેલાવ્યું કે આ પાર્ટીઓએ યુપી સહિત સમગ્ર દેશમાં રમખાણો કરાવ્યાં. આજે પણ કહેવાય છે કે જે દિવસે મોદી જશે, CAA પણ જશે. કોઇ માઇનો લાલા નથી જન્મ્યો જે CAA નાબૂદ કરી શકે.

તમે CAA હટાવી શકશો નહીં - PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે તમારે જે પણ તાકાત ભેગી કરવી હોય તે કરો. હું પણ મેદાનમાં છું અને તમે પણ છો. તમે CAA નાબૂદ કરી શકશો નહીં. આવનારા દિવસોમાં બંગાળથી પંજાબમાં વસતા શરણાર્થીઓ ભારત માતાના પુત્ર બનશે. મોદીની બીજી ગેરંટી કાશ્મીરમાં પણ દેખાઈ રહી છે. છેલ્લા પાંચ દાયકાથી દરેક ચૂંટણીમાં કાશ્મીર મુદ્દો હતો. દરેક પક્ષો આ મુદ્દાનું મૂડીરોકાણ કરતા હતા. હવે આપણા વિરોધ પક્ષોએ બોલવાનું બંધ કરી દીધું છે. આ લોકો શાંત સ્વરમાં કહે છે કે અમને તક મળતાં જ તેઓ કલમ 370 પાછી લાવશે. 40 વર્ષ પછી શ્રીનગરના લોકો મતદાનની ઉજવણી કરી રહ્યાં છે. શ્રીનગરના લોકોનો ઉત્સાહ સ્પષ્ટ દર્શાવે છે કે 370ના નામે કોઈ રાજનીતિ કરી શકશે નહીં. પીએમે કહ્યું કે પહેલા લોકો ડરતા હતા કે કાશ્મીરમાં ફાયરિંગ અને બોમ્બ ધડાકાના સમાચાર આવશે. મોદીએ 370ની દિવાલ તોડી નાખી. આ વખતે શ્રીનગરમાં મતદાનનો રેકોર્ડ તૂટી ગયો છે. આ પ્રકારનું કામ રાષ્ટ્રવાદી વ્યક્તિ જ કરી શકે છે.

સપા-કોંગ્રેસ ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણનો માલ વેચે છે - પીએમ મોદી

મોદીએ કહ્યું કે 10 વર્ષ પહેલા દરેક જગ્યાએ સ્લીપર સેલ અને રમખાણો થતા હતા. આઝમગઢનું નામ બદલીને કંઈક બીજું કરવામાં આવ્યું. જ્યારે પણ દેશમાં ક્યાંય બોમ્બ બ્લાસ્ટ થાય છે ત્યારે લોકો આઝમગઢ તરફ જોતા હતા. સપાના રાજકુમારો આતંક ફેલાવનારા તોફાનીઓને માન આપતા હતા. સપા અને કોંગ્રેસ બે પાર્ટીઓ છે પરંતુ તેમની દુકાન એક જ છે. તેઓ ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણનો માલ વેચે છે.

વિપક્ષ અનામત છીનવવા માંગે છે - PM મોદી

પીએમએ કહ્યું કે આ લોકો પછાત દલિત આદિવાસીઓનું આરક્ષણ છીનવીને તેમની વોટ બેંકમાં આપવા માંગે છે. ભારત ગઠબંધનના લોકો તમારી અડધી સંપત્તિ છીનવીને તેમની વોટ બેંકમાં આપવા માંગે છે. તેઓ દેશના બજેટને વહેંચવા માંગે છે. બજેટના 15 ટકા લઘુમતીઓને આપવા માંગે છે. દેશના બંધારણ માટે આપણને એકતાની જરૂર છે.

લોકોએ SP નું ગુંડા શાસન જોયું છે

મોદીએ કહ્યું કે ભાજપના શાસનમાં યુપી ઝડપથી વિકાસ કરી રહ્યું છે. પરંતુ યુપીના રાજકુમારને પેટમાં દુખાવો થાય છે. લોકોએ સપાનું ગુંડા શાસન જોયું છે. સાંજ પડતાં જ લોકો પોતાના ઘરે પુરાઇ જતા હતા. માતા અને બહેનો માટે બહાર જવું મુશ્કેલ હતું. મારી પુત્રીઓને અભ્યાસ માટે બહાર જવું મુશ્કેલ હતું. આજે ભાજપ સરકારમાં યુપી આ બધી બાબતોમાંથી બહાર આવ્યું છે. યોગીજીએ આજે ​​તોફાનીઓ, માફિયાઓ અને અપહરણકારોની કમર તોડી નાખી છે. યુપીમાં પણ સ્વચ્છતા અભિયાન તેજ ગતિએ ચાલી રહ્યું છે. અહીંના સ્થાનિક ઉત્પાદનોને વિશ્વમાં લઈ જવાના છે, એટલા માટે હું વોટ ફોર લોકલની વાત કરું છું. તેમને અહીં અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું છે.

અમે યદુવંશીને સીએમ બનાવ્યા - પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે હું દ્વારકા જીના દર્શન કરવા ગયો હતો પરંતુ કોંગ્રેસના આ લોકો તેની મજાક પણ ઉડાવી રહ્યાં હતા. બિહારમાં આરજેડી અને યુપીમાં એસપીના પરિવારના વડાઓ પોતાને યદુવંશી કહે છે. તમે કેવા યદુવંશી છો ? તમે જેની સાથે બેસો છો તે કૃષ્ણને ગાળો આપી રહ્યાં છે.  તમે જાણો છો કે યદુવંશનું મહત્વ કોણ સમજે છે. અમે મોહન યાદવને વોટ માટે નહીં પણ યદુવંશના સન્માન માટે મધ્યપ્રદેશના સીએમ બનાવ્યાં છે. પીએમ મોદીએ આઝમગઢથી નિરહુઆ અને લાલગંજથી નીલમ સોનકરને રેકોર્ડ વોટથી ચૂંટવાની અપીલ કરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch