Mon,29 April 2024,6:28 am
Print
header

પાકિસ્તાનમાં નવી સરકાર માટેની ફોર્મ્યુલા ફાઇનલ, PML-N અને PPP વચ્ચે PM-પ્રેસિડેન્ટની થઇ ડીલ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં નવી સરકારનું સસ્પેન્સ સમાપ્ત થઈ ગયું છે. 12 દિવસ પછી નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) અને બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) વચ્ચેના જોડાણની ફોર્મ્યુલાને આખરે મંજૂરી મળી ગઈ છે. બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી. મંગળવારે મોડી રાત્રે બંને પક્ષોના હાઈકમાન્ડે ગઠબંધનમાં સરકાર બનાવવાની જાહેરાત કરી દીધી છે. પીપીપીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ જાહેરાત કરી હતી કે શહેબાઝ શરીફ (72 વર્ષ) પીએમએલ-એનમાંથી ફરી એકવાર વડાપ્રધાન બનશે. બંને પક્ષો ગઠબંધન સરકાર બનાવવા માટે તૈયાર છે. બિલાવલે કહ્યું, પીપીપી અને પીએમએલ-એનએ જરૂરી સંખ્યા હાંસલ કરી લીધી છે અને હવે અમે સરકાર બનાવવાની સ્થિતિમાં છીએ.

ઝરદારી ફરીથી રાષ્ટ્રપતિ બનવાનું નિશ્ચિત

સમજૂતીની ફોર્મ્યુલા અનુસાર પીપીપીના કો-ચેરમેન આસિફ ઝરદારી (68 વર્ષ)નું ફરીથી દેશના રાષ્ટ્રપતિ બનવું નિશ્ચિત છે. આ સિવાય PML-Nના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝ (50 વર્ષ)ને પંજાબના મુખ્યમંત્રી પદ માટે નામાંકિત કરવામાં આવ્યાં હોવાના અહેવાલો છે.

ઈમરાન બહુમતી મેળવવામાં નિષ્ફળ

બિલાવલે જણાવ્યું કે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટી અને સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલ (SIC) દ્વારા સમર્થિત ઉમેદવાર કેન્દ્રમાં સરકાર બનાવવા માટે સંસદમાં સરળ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યાં છે. બિલાવલે આશા વ્યક્ત કરી હતી કે પીએમએલ-એન સાથે ગઠબંધન સરકાર બનાવવાના રાજકીય જોડાણના સમાચારને સકારાત્મક પ્રતિક્રિયા જોવા મળશે. હાલમાં પાકિસ્તાન રોકડ સંકટનો સામનો કરી રહ્યું છે.

ઇમરાનને હટાવ્યાં બાદ શાહબાઝ 2022માં પીએમ બન્યાં હતા

હાલમાં શાહબાઝ માટે બીજી વખત પીએમ બનવાનો રસ્તો સાફ દેખાઈ રહ્યો છે. ઈમરાન ખાનને સત્તા પરથી હટાવવામાં આવ્યાં પછી શાહબાઝ પાકિસ્તાનના 23મા વડાપ્રધાન બન્યા અને એપ્રિલ 2022 થી ઓગસ્ટ 2023 સુધી દેશની બાગડોર સંભાળી. તેઓ પીપીપીના સમર્થનથી સરકારમાં આવ્યાં હતા.

પિતાને રાષ્ટ્રપતિ બનતા જોવા માંગતા હતા બિલાવલ ભુટ્ટો

આ પહેલા બિલાવલે એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓ તેમના પિતા આસિફ અલી ઝરદારીને (68 વર્ષ) ફરી એકવાર રાષ્ટ્રપતિ તરીકે જોવા માંગે છે. સ્વર્ગસ્થ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોના પતિ ઝરદારી 2008 થી 2013 સુધી રાષ્ટ્રપતિ હતા. હું આ એટલા માટે નથી કહી રહ્યો છું કારણ કે આ સમયે દેશ ભારે સંકટમાં છે અને જો કોઈની પાસે આ આગ બુઝાવવાની ક્ષમતા છે તો તે આસિફ અલી ઝરદારી છે.

ઈમરાન સમર્થિત મોટાભાગના ઉમેદવારો જીત્યા હતા

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં 266 સીટો છે. 265 બેઠકોના પરિણામ જાહેર કરવામાં આવ્યાં છે. સરકાર બનાવવા માટે 133 સીટો હોવી જરૂરી છે. દેશમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ દ્વારા સમર્થિત મોટાભાગના અપક્ષ ઉમેદવારો જીત્યા હતા. પાકિસ્તાનના ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે સામાન્ય ચૂંટણીઓમાં અપક્ષ ઉમેદવારોએ સૌથી વધુ 101 બેઠકો જીતી હતી.

પાકિસ્તાનના ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે સામાન્ય ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોએ સૌથી વધુ 101 બેઠકો જીતી છે. જેમાંથી 93 ઉમેદવારોને ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈનું સમર્થન છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ને 75 બેઠકો, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ને 54 બેઠકો મળી હતી. મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ-પાકિસ્તાનને 17 બેઠકો મળી હતી. અન્ય પક્ષોને પણ 17 બેઠકો મળી છે. એક બેઠકનું પરિણામ અટકાવી દેવામાં આવ્યું છે. કોઈપણ પક્ષને પૂર્ણ બહુમતી ન મળવાને કારણે ત્રિશંકુ સંસદની સ્થિતિ સર્જાઈ હતી. ઈમરાન ખાન જેલમાં છે અને તેઓ સરકાર બનાવવાના પ્રયાસમાં પાછળ રહી ગયા છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch