Thu,21 May 2026,4:15 am
Print
header

ના વાતચીત, ના સમજૂતીઃ હિઝબુલ્લાહના નવા વડાએ ઈઝરાયેલ સામે મૂકી 5 શરતો

  • Published By Panna Patel
  • 2026-04-27 16:36:07
  • /

બેરૂત: લેબનોનનું આતંકી સંગઠન હિઝબુલ્લાહ ફરી એકવાર ચર્ચામાં છે. હિઝબુલ્લાહના નવા વડા શેખ નઈમ કાસિમે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈઝરાયેલ સાથે કોઈ પણ પ્રકારની સીધી વાતચીત કરશે નહીં. જો કે, તેમણે યુદ્ધ વિરામ માટે 5 મુખ્ય શરતો મુકી છે. કાસિમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે લેબનોન સરકાર પર ઈઝરાયેલ સાથે સમજૂતી કરવા માટે ભારે દબાણ છે.

કાસિમે લેબનોનની સત્તામાં બેઠેલા નેતાઓને આડે હાથ લેતા ચેતવણી આપી છે કે, જે લોકો ઈઝરાયેલ અને અમેરિકાના ઈશારે ચાલી રહ્યા છે તેઓ લેબનોન કે પોતાનું ભલું કરી રહ્યાં નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હિઝબુલ્લાહ એવું ક્યારેય નહીં ઈચ્છે કે સરકાર દબાણમાં આવીને એવો કોઈ નિર્ણય લે જે હિઝબુલ્લાહને નબળું પાડે. કાસિમના મતે, ઈઝરાયેલ-અમેરિકા જે ઈચ્છે છે તે સરકારના હાથમાં નથી અને સરકાર જે ઈચ્છે છે તે ઈઝરાયેલ ક્યારેય આપવાનું નથી.

કાસિમે જણાવ્યું હતું કે જો ઈઝરાયેલ યુદ્ધ રોકવા માંગતું હોય, તો નીચે મુજબની 5 શરતો પૂરી કરવી પડશે.

  1. હુમલા બંધ કરવા: ઈઝરાયેલ જમીન, સમુદ્ર અને આકાશ (હવાઈ માર્ગ) એમ ત્રણેય તરફથી લેબનાન પરના હુમલા સંપૂર્ણપણે બંધ કરે.
  2. સેના પાછી ખેંચવી: ઈઝરાયેલ જે વિસ્તારો પર કબ્જો જમાવ્યો છે ત્યાંથી પોતાની સેના પાછી ખેંચી લે.
  3. કેદીઓની મુક્તિ: ઈઝરાયેલની જેલમાં બંધ કેદીઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવે.
  4. વિસ્થાપિતોની ઘરવાપસી: જે લોકો યુદ્ધના કારણે પોતાના ઘર અને શહેર છોડીને ભાગી ગયા છે, તેમને સુરક્ષિત રીતે પરત ફરવાની મંજૂરી આપવામાં આવે.
  5. પુનઃનિર્માણ: યુદ્ધમાં થયેલી તબાહી બાદ નુકસાન પામેલા વિસ્તારોનું ફરીથી બાંધકામ (પુનઃનિર્માણ) કરવામાં આવે.

શેખ નઈમ કાસિમે આ શરતો મૂકીને સ્પષ્ટ કરી દીધું છે કે હિઝબુલ્લાહ નમતું જોખવા તૈયાર નથી અને યુદ્ધનો ઉકેલ માત્ર આ શરતોના પાલન બાદ જ આવી શકે છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch