Wed,15 July 2026,1:10 am
Print
header

AAP ના MLA ચૈતર વસાવાના બદલાયા સૂર: એક હાથે તાળી ન પડે- કહીને ભાજપ સરકારની યોજનાઓના કર્યાં વખાણ

  • Published By Panna Patel
  • 2026-06-18 15:01:43
  • /

- ચૈતર વસવા અને મનસુખ વસાવા એક સાથે કાર્યક્રમમાં રહ્યાં હાજર

- મનરેગા અને આવાસ યોજનાની કામગીરીને બિરદાવી

- શું ચૈતર વસાવા ભાજપની નજીક આવી રહ્યાં છે ?

નર્મદા: પોતાના આક્રમક અંદાજ અને સરકાર વિરોધી કડક વલણ માટે જાણીતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના એક નિવેદને  રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. નર્મદા જિલ્લાના ચીકદા તાલુકામાં યોજાયેલી જન કલ્યાણ શિબિર દરમિયાન ચૈતર વસાવાએ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ વિકાસ યોજનાઓની પ્રશંસા કરી હતી અને વિકાસના કામોમાં સૌને સાથે મળીને સહકાર આપવા અપીલ કરી હતી.

ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, વિકાસ માટે સરકાર અને જનતા બંનેના સંયુક્ત પ્રયાસો ખૂબ જરૂરી છે. તેમણે એક ઉદાહરણ આપતા કહ્યું કે, એક હાથથી તાળી પડી શકતી નથી, વિકાસ માટે આપણે પણ સરકારને સહકાર આપવો પડશે. અગાઉ જે સરકારી તંત્ર સામે તેઓ હંમેશા આક્ષેપો કરતા હતા, તેની જ શિબિરમાં જઈને તેમણે વિવિધ યોજનાઓની માહિતી મેળવી હતી અને લોકોને તેનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.

ખાસ વાત એ છે કે, અગાઉ જે મનરેગા યોજનાના અમલીકરણ સામે ચૈતર વસાવા અનેક સવાલો ઉઠાવી ચૂક્યાં છે, તે જ યોજનાના વખાણ કરતા તેમણે જણાવ્યું કે નર્મદા જિલ્લો રોજગારી આપવામાં રાજ્યમાં અગ્રણી છે. ઉપરાંત, તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે વાત કરતા ગર્વભેર જણાવ્યું કે, તેમનો ડેડીયાપાડા તાલુકો આ યોજનાના અમલીકરણમાં સમગ્ર રાજ્યના શ્રેષ્ઠ તાલુકાઓમાં સ્થાન ધરાવે છે.

આ જન કલ્યાણ શિબિરમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા સહિતના અન્ય સ્થાનિક આગેવાનો પણ મંચ પર હાજર હતા. તેમની હાજરીમાં વિપક્ષી ધારાસભ્યના આવા સકારાત્મક વલણને રાજકીય વિશ્લેષકો ખૂબ મહત્વનું માની રહ્યા છે.

ચૈતર વસાવાના આ બદલાયેલા અંદાજથી નર્મદા સહિત સમગ્ર ગુજરાતના રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ છે. કેટલાક લોકો આને માત્ર વિકાસલક્ષી રાજકારણ ગણાવી રહ્યાં છે, તો કેટલાક આની પાછળ કોઈ નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યાં હોવાની અટકળો લગાવી રહ્યા છે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch