Sat,13 December 2025,12:33 am
Print
header

6 લોકોનાં મોત, જોધપુર-બાલેસર નેશનલ હાઇવે પર ગુજરાતનાં શ્રદ્ધાળુઓનો ટેમ્પો ટ્રક સાથે અથડાયો

  • Published By
  • 2025-11-16 11:49:11
  • /

જોધપુરઃ જોધપુર-જેસલમેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રવિવારે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. બાલેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામદેવરાના દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલો એક ટેમ્પો સામેથી આવતા એક ટ્રક સાથે અથડાયો હતો. આ ભીષણ ટક્કરમાં 6 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે મહિલાઓ અને બાળકો સહિત 14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

તમામ ઘાયલોની સારવાર જોધપુરની એમડીએમ હોસ્પિટલમાં ચાલી રહી છે. મૃતક અને ઘાયલ તમામ લોકો ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટના સવારે લગભગ 5:30 વાગ્યે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-125 પર ખારી બેરી ગામ પાસે બની હતી.

બાલેસર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બાજરાના કોથળાથી ભરેલો એક ટ્રક ટેમ્પો સાથે અથડાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોનો આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જ્યારે ટ્રક પણ આગળ જઈને પલટી ગઇ હતી.

ટેમ્પોમાં આગળ બેઠેલા મહેન્દ્ર નામના શ્રદ્ધાળુએ જણાવ્યું કે, તમામ લોકો સાબરકાંઠા જિલ્લામાંથી રામદેવરાના દર્શન માટે નીકળ્યાં હતા. અકસ્માત બાદ ત્રણ શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ લોકોએ જોધપુરમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. દુર્ઘટનાના તુરંત બાદ હાઇવે પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોએ પોતાના વાહનો રોકીને ઘાયલોને મદદ કરી હતી અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરી હતી.બાલેસર, આગોલાઇ અને હાઇવે સેવા દ્વારા ત્રણ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch