Thu,21 May 2026,3:37 am
Print
header

હિંમતનગર હાઈવે પર કાળમુખી બસનો કહેર: જવાનગઢ પાટિયા પાસે કારને ટક્કર મારતા 6 લોકોનાં મોત

  • Published By Panna Patel
  • 2026-04-29 14:54:51
  • /

મૃતકો મોડાસાના સરડોઈ ગામ વતની હોવાનું સામે આવ્યું

એક જ ગામના 6 વ્યક્તિઓના મોતથી માતમ

સાબરકાંઠા: નેશનલ હાઈવે 48 પર બુધવારે એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. હિંમતનગર નજીક આવેલા જવાનગઢ પાટિયા પાસે પુરપાટ ઝડપે આવી રહેલી ખાનગી બસે આગળ જતી કારને પાછળથી જોરદાર ટક્કર મારતા 6 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ગમખ્વાર અકસ્માત શામળાજીથી હિંમતનગર તરફ આવતા હાઈવે પર સર્જાયો હતો. એક ખાનગી બસના ચાલકે પોતાના આગળ જઈ રહેલી કારને પાછળના ભાગે એટલી જોરદાર ટક્કર મારી હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદ હાઈવે પર મોતની ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી.

પ્રાથમિક જાણકારી મુજબ, આ અકસ્માતનો ભોગ બનનાર તમામ મુસાફરો મોડાસાના સરડોઈ ગામના હતા. તેઓ સરડોઈથી કૂંપ જઈ રહ્યાં હતા, ત્યારે માર્ગમાં જ કાળ ભેટી ગયો હતો. આ દુર્ઘટનામાં 6 લોકોના સ્થળ પર જ મોત થયા છે, જ્યારે ઈજાગ્રસ્ત થયેલા 8 લોકો પૈકી 2 ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

ઘટનાની જાણ થતા જ ગાંભોઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થાનિક લોકોની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક જ ગામના 6 વ્યક્તિઓના મોતથી સરડોઈ પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch