Fri,17 April 2026,8:55 pm
Print
header

અમદાવાદ-મુંબઈ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન ટૂંક સમયમાં શરૂ થશે: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

  • Published By dilip patel
  • 2025-08-04 09:50:47
  • /

અમદાવાદ: દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન ચલાવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને તેનાથી સંબંધિત તમામ કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યાં છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાલનારી આ પ્રથમ બુલેટ ટ્રેન અંગે હવે એક મોટું અપડેટ સામે આવ્યું છે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ કે, ભારતની પ્રથમ બુલેટ ટ્રેન સેવા ખૂબ ઝડપથી શરૂ થશે અને તેનાથી મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો પ્રવાસ સમય લગભગ બે કલાકનો થઈ જશે.


કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાવનગર ટર્મિનસથી અયોધ્યા એક્સપ્રેસ, રીવા-પુણે એક્સપ્રેસ અને જબલપુર-રાયપુર એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા તેમણે બુલેટ ટ્રેન અંગે આ મોટું અપડેટ આપ્યું હતું. તેમણે કહ્યું કે બુલેટ ટ્રેનથી મુંબઈથી અમદાવાદ વચ્ચેનું અંતર માત્ર 2 કલાક અને 7 મિનિટમાં પૂરું થશે. આ દરમિયાન તેની શરૂઆતની સમયરેખા વિશે જણાવતા તેમણે કહ્યું કે તે ખૂબ ઝડપથી ચાલુ થવાની છે અને તેને લઈને ઝડપથી કામ ચાલી રહ્યું છે.

રેલવે મંત્રાલયદ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે યુદ્ધના ધોરણે ચાલી રહેલા કામ વિશે સતત અપડેટ શેર કરવામાં આવે છે. તાજેતરમાં જ એક પોસ્ટમાં રેલવે દ્વારા જણાવવામાં આવ્યું કે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર એક મોટા સતત ટનલ સેક્શનનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે, જે તે 21 કિલોમીટર લાંબી ટનલનો એક ભાગ છે, જેમાંથી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પસાર થશે.

કાર્યક્રમ દરમિયાન રેલ મંત્રીએ કહ્યું કે અમૃત ભારત ટ્રેન નવી શરૂ થઈ છે. અત્યાર સુધીમાં લગભગ 8 આવી ટ્રેનો ચલાવવામાં આવી છે. તેમણે કહ્યું કે અમૃત ભારત ટ્રેનમાં વંદે ભારત જેવા ફીચર્સ છે, પરંતુ તે ખૂબ જ ઓછા ભાડાવાળી, ખૂબ જ ઓછી ટિકિટવાળી ટ્રેન છે. તેમના મતે, પોરબંદર-રાજકોટ નવી દૈનિક ટ્રેન જલ્દી ચાલુ થશે. રાણાવાવ સ્ટેશન પર નવી કોચ મેન્ટેનન્સ ફેસિલિટી, સરદિયા-વાસજલિયા નવી લાઇન, ભદ્રકાળી ગેટ, પોરબંદર શહેરમાં નવો ફ્લાયઓવર, ભાવનગરમાં 2 નવા ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ અને એક નવો પોર્ટ બનવાનો છે.
 
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રેલવેની સલામતી પર ખૂબ ધ્યાન છે, સ્વચ્છતા પર વિશેષ ધ્યાન છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રયાસ છે કે ભારતીય રેલવેનો દરેક રીતે વિકાસ થાય. આ સાથે જ એક વધુ મોટું અપડેટ જાહેર કરતા તેમણે જણાવ્યું કે હવે વંદે ભારત સ્લીપર પણ આવવાની છે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch