Sat,14 March 2026,1:24 am
Print
header

EXCLUSIVE: SGST માં ઇમાનદારીની વાતોની આડમાં મસમોટો ખેલ થઇ ગયો, IRS હેરમા આ કેસની તટસ્થ તપાસ ક્યારે કરાવશે ?

  • Published By Mahesh R Patel
  • 2026-02-22 17:27:28
  • /

આખરે કેમ અટકી રહ્યો નથી ભ્રષ્ટાચાર

સ્ટેટ જીએસટી વિભાગમાં ભ્રષ્ટાચારનો સડો આગળ વધી રહ્યો છે 

અમદાવાદઃ આશ્રમ રોડ પર આવેલી સ્ટેટ જીએસટી વિભાગની ઓફિસ દિવસેને દિવસે ભ્રષ્ટાચારનો અડ્ડો બની રહી છે, સરકાર અને નાણાંવિભાગ દ્વારા અનેક વખતે ફેરફારો કરાયા હોવા છંતા ભ્રષ્ટાચાર અટકવાનું નામ નથી લઇ રહ્યો, ઘણા કેસોમાં વેપારીઓ અને અધિકારીઓ મળીને સરકારી તિજોરી લૂંટી રહ્યાં છે, તો ઘણા કેસોમાં બોગસ જીએસટીના બિલોમાં અધિકારીઓ-કર્મચારીઓની સંડોવણીઓ સામે આવી રહી છે, હવે એક નવો જ કેસ સ્ટેટ જીએસટી વિભાગની મોબાઇલ સ્કવોર્ડને લઇને સામે આવ્યો છે, આ મામલે IRS ડી. સી. હેરમાએ આ કેસની તટસ્થ તપાસ કરવી જોઇએ, કારણ કે વિજિલન્સ જો આવા કેસોમાં પોતાના જ ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી નહીં કરે તો ભ્રષ્ટાચારનો સડો આખા કરભવનમાં લાગી જશે. 

જો કે અમે અહીં એક વાત સ્પષ્ટ કરી દઇએ છીએ કે કેટલાક ઇમાનદાર અધિકારીઓને કારણે જ ગુજરાત સરકારની તિજોરીમાંથી મસમોટી લૂંટ અટકી રહી છે. થોડા દિવસો પહેલા મોબાઇલ સ્કવોર્ડના જે ઓર્ડર થયા હતા, તેમાં સ્ટેટ જીએસટી કમિશનર અને IAS અધિકારી આરતી કંવરે ખાસ ધ્યાન આપ્યું હતુ, તેઓની એન્ટ્રી પછી વિભાગમાં ઘણા મહત્વના અને સરકારને ઉપયોગી થાય તેવા ફેરફારો થઇ રહ્યાં છે, તેમની કામગીરીને કારણે સરકારને ખરેખર ફાયદો થઇ રહ્યો છે, પરંતુ તેમની જ ઓફિસમાં બેસતા કેટલાક અધિકારીઓ ખિસ્સા ભરી રહ્યાં છે અને પોતાના જ અધિકારી-કર્મચારીઓને દબાવીને ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે. તે બાબત સામે પણ તેમને થોડું ધ્યાન આપવું જોઇએ. 

શું છે ભ્રષ્ટાચારનો આ મામલો અને કેવા પ્રકારના પુરાવા સામે આવ્યાં છે ? 

ઓછો દંડ કરીને ખિસ્સા ભરવાનો ખેલ, જો વેપારી તૈયાર ન થયા તો લાખો રૂપિયાનો દંડ

ઘણા કિસ્સાઓમાં વેપારીઓ અને અધિકારીઓની મિલિભગત છે 

તારીખ 15-9-2025 ના રોજ અમદાવાદમાં સ્ટેટ જીએસટીની મોબાઇલ સ્કવોર્ડ દ્વારા એક ગાડી પકડવામાં આવી હતી (GJ-01 LT-****)
તેમાં ઇ-વે બિલ ન હતા, એટલે કે કરચોરી કરીને માલ બીજી જગ્યાએ જઇ રહ્યો હતો, આ મામલે બે પેઢીઓના નામો પણ સામે આવ્યાં છે. એક ગીરીશ એન્ટરપ્રાઇઝ અને ધ્યાન એન્ટરપ્રાઇઝ, આ પાનમસાલા- ગુટખાની હેરાફેરીમાં ગડબડ જણાતા સ્થળ પર હાજર કર્મચારીએ આ ટેક્સ ચોરી કરતી કંપનીઓને મસમોટો દંડ કરવાનું નક્કિ કર્યું, પરંતુ કરભવનમાંથી તેને કોઇ ઉચ્ચ અધિકારીનો ફોન આવી ગયો હશે અને તેના પર ગાડી છોડવા મોટું દબાણ કરાયું હશે અને સાંજ અંદાજે 6 વાગ્યાની આસપાસ આ ઇ-વેબિલને કોઇની સિસ્ટમાંથી ઓકે કરી નાખવામાં આવ્યું આ, કોઇ ઉચ્ચ અધિકારીએ તેની પાસે રહેલા પાસવર્ડ-આઇડીથી ઓકે કરી નાખ્યું, તેનો મતલબ છે કે આ માલમાં કોઇ ગોટાળો નથી, આ પાર્ટી કોઇ કરચોરી કરતી નથી, તેથી તેનો માલ છોડી દેવો.

હવે બીજા દિવસે એટલે કે 16-9-2025 ના દિવસે સવારે 9 વાગ્યના આસપાસ આ જ ઇ- વેબિલ નોટ ઓકે કરાયું, કદાચ જે અધિકારી-કર્મચારીએ ગાડી પકડી હતી, તેને પોતાની નોકરીની અને પોતાના એથીક્સની ચિંતા હશે, તેથી તેમને ઉચ્ચ અધિકારીની વાત ન માની અને નોટ ઓકે કરીને મેમો બનાવી દીધો, જો કે નવાઇની વાત એ છે કે એક બિલમાં માત્ર અંદાજે 4 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો અને કલમ 129 લગાવવામાં આવી, જ્યારે બીજા બિલમાં અંદાજે 50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો અને 130 ની કલમ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી (કલમ 129 માં પેઢી સામે કોઇ રેડની કે ઉંડી તપાસની દરખાસ્ત હોતી નથી અને કલમ 130 માં વેપારીઓને રેડની દરખાસ્ત હોય છે અને તમામ પેઢીઓ સામે કડક કાર્યવાહી કરાય છે) તો આ એક ગાડીમાંથી પકડાયેલા માલમાં સરકારી તિજોરીને નુકસાન કરવામાં આવ્યું અને કોઇ વેપારીને મસમોટી મદદ કરવામાં આવી અને સરકારી હોદ્દાનો દુરુપયોગ કરવામાં આવ્યો.

(અમારી પાસે ઇ-વેબિલનો નંબર છે, જે સરકારી સિસ્ટમમાં જ જનરેટ થયા હતા)

અમદાવાદમાં સ્ટેટ જીએસટીના અધિકારીની ભ્રષ્ટાચાર સામે તપાસ કેમ થતી નથી, આ મસમોટું કૌભાંડ તાજું જ છે.

જે તે અધિકારી ઉચ્ચ હોદ્દા ઉપર હોવાથી અને તેમના સાથીઓ પણ ઉચ્ચ હોદ્દા પર હોવાથી તપાસ ન થાય તેવી શક્યતા.

જો આ વાત કમિશનર અને IAS આરતી કંવર કે નાણાં સેક્રેટરી સુધી પહોંચે તો જ વિજિલન્સ કે અન્ય કોઇ તપાસ થઇ શકે છે.

આ મસમોટું કૌભાંડ ઘણા સમયથી ચાલતું હશે અને આવી રીતે પુરાવા વિભાગ જ ભેગા કરી શકે છે

સ્ટેટ જીએસટીનો વિજિલન્સ વિભાગ IRS ઘર્મેન્દ્ર હેરમા પાસે છે તેઓ એન્ફોર્સમેન્ટમાં પણ મોટી જવાબદારી પર છે, જેથી તેમને આ કેસની ઉંડી અને તટસ્થ તપાસ કરાવવી જોઇએ, ભલે પછી આ ભ્રષ્ટ અધિકારી તેમની સાથે દરરોજ બેઠતા ઉઠતા હોય, કારણ કે અહીં સત્તાનો દુરુપયોગ કરીને કોઇ પેઢીને મદદ કરવામાં આવી છે અને તે વાત તમારા સર્વરમાં ટેક્નીકલ પુરાવા સ્વરૂપે છે, કોઇ ઇ-વેબિલ નીચેના કર્મચારીને પૂછ્યાં વગર ઉચ્ચ કર્મચારી ઓકે કરી દે છે તો આ તો સત્તાનો ચોક્કસથી દુરુઉપયોગ છે, સાથે જ આ કેસમાં મોબાઇલ સ્કવોર્ડના કર્મચારીઓના નિવેદનો લઇને ઇમાનદારીનો ઢોંગ કરનારા જે તે બેઇમાન અધિકારી સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઇએ.

જે ગાડી પકડાઇ હતી, તેના ડ્રાઇવરના નિવેદનની તપાસ કરો 

15-9-2025 ના રોજ જે ગાડી પકડી પાડવામાં આવી હતી, તેમાં ડ્રાઇવરનું નિવેદન પણ સ્ટેટ જીએસટી વિભાગના રેકોર્ડમાં હશે, તેના પરથી ખબર પડશે કે આ ગાડીમાં ખોટા બિલો હતો કે નહીં અને આ સામાન એક જ જગ્યાએ જવાનો હતો કે વધુ જગ્યાએ, આ પેઢીઓ કેવી રીતે અને કેટલા સમયથી કરચોરી કરી રહી છે, જો બંને બિલ એક જ માલ પાનમસાલા- ગુટખાના હોય અને સરખું વજન હોય તો બંનેની સામે કલમ 130 મુજબ કેમ કાર્યવાહી ન કરાઇ અને બંને કેસોમાં મોટો દંડ કરવાની જગ્યાએ ભેદભાવ કેમ કરવામાં આવ્યો, આ બધા જ સવાલોના જવાબ IRS હેરમા અને નાણાં સેક્રેટરી, ગુજરાત સરકારે શોધવા જોઇએ. 

પુરાવા પરથી સાબિત કરો અને પેઢીને બચાવનારા અધિકારીને તાત્કાલિક ઘરભેગા કરો

જો આ તમામ મામલે સ્ટેટ જીએસટી વિભાગના કમિશનર આરતી કંવર અને વિજિલન્સનો ચાર્જ જેમની પાસે છે તે IRS હેરમા તપાસ કરે છે, તો બે દિવસમાં જ સાબિત થઇ જાય કે તેમની જ ઓફિસમાંથી કોઇ ઉચ્ચ અધિકારીએ આ ચેડાં કર્યાં છે, સાઇબર ક્રાઇમ પણ આ મામલે તપાસ કરીને તમને વહેલા અહેવાલ આપી શકે છે, પરંતુ જો તમારી ઇચ્છા શક્તિ હોય તો, બાકી તો આવા અધિકારીઓ ખિસ્સા ભરતા રહેશે, સરકારી પદથી મળેલી સત્તાનો દુરુઉપયોગ કરતા રહેશે અને આવું જ આગળ પણ ચાલ્યાં કરશે. જો કે આવા કિસ્સાઓમાં અમે તો વધુ પુરાવા પાસે જનતાને અને સરકારને જાગૃત કરતા જ રહીશું.

(હેરમાએ એ પણ તપાસ કરવી જોઇએ કે કચ્છના તેમના અધિકારી મોરબીમાં જઇને કેવા કેવા ખેલ કરે છે ? અમીરગઢ ચેકપોસ્ટ પર સિગારેટની ગાડીઓમાં કોણ મલાઇ ખાઇ રહ્યું છે, પોરબંદર અને જૂનાગઢમાં સ્ક્રેપના બોગસ બિલિંગના કેસોમાં રિફંડની કેમ તટસ્થ તપાસ થતી નથી ? કયા અધિકારીએ મલાઇ ખાલી તેની તો તપાસ કરો)

(નવા ખુલાસાઓ માટે અને વધુ સ્ટોરી માટે જોતા રહો www.gujaratpost.in)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch