Sat,13 June 2026,2:33 pm
Print
header

ભ્રષ્ટાચાર વધ્યો ! ભાજપના જ MLA કેતન ઈનામદારે આ મામલે મુખ્યમંત્રીને લખવો પડ્યો પત્ર

  • Published By Panna Patel
  • 2026-05-26 16:58:08
  • /
  • રૂ. 24 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં થોડા જ સમયમાં તિરાડો પડી
  • અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના પાપે ભાજપ સરકારનું નામ ખરાબ થઇ રહ્યું છે 

વડોદરા: સાવલી તાલુકાના પરથમપુરા ગામ પાસે આવેલી મેસરી અને કરડ નદી પર નિર્માણ પામેલા નવા બ્રિજના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ભાજપના જ ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. છેલ્લા 5 મહિનામાં બીજી વખત સીએમને પત્ર લખીને તેમણે અધિકારીઓ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે, ધારાસભ્યે આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ સામે વિજીલન્સ તપાસ કરીને કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં ગંભીર બાબતોનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, તેમના મત વિસ્તાર સાવલી તાલુકાના પરથમપુરા ગામ પાસે કરડ નદી અને મેસરી નદી પર રૂપિયા 24 કરોડના ખર્ચે એપ્રોચ રોડ સાથે નવિન બ્રિજ બનાવવામાં આવ્યો છે, તેનું કામ નબળું છે.

આ બ્રિજ હજુ થોડા સમય પહેલા જ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ અત્યારથી જ બ્રિજ પરના રસ્તામાં મોટી તિરાડો પડી ગઈ છે અને RCC ઉખડી ગયેલું જોવા મળી રહ્યું છે, જે અત્યંત ગંભીર બાબત છે.

કેતન ઈનામદારે પત્રમાં રોષ ઠાલવતા લખ્યું છે કે, સરકાર નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવા માટે હંમેશા અગ્રેસર રહે છે. પરંતુ આવા નબળા કામ કરનારા કોન્ટ્રાક્ટરો કે ભ્રષ્ટ અધિકારીઓને કારણે સરકારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે. તેમણે આ બાબતે તાત્કાલિક વિજીલન્સ તપાસ કરાવીને જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં ભરવાની માંગ કરી છે.

નોંધનીય છે કે, ધારાસભ્ય કેતન ઈનામદારે અગાઉ 5 મહિના પહેલા પણ મુખ્યમંત્રીને પત્ર લખીને અધિકારીઓ જનતાના કામ ન કરતા હોવાની વાત કરી હતી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch