Wed,15 July 2026,12:31 am
Print
header

સુરતનું ભૂતિયા ડિમોલિશન પ્રકરણ: કમિશનર મીડિયાથી ભાગ્યા, માર્શલોની ઝપાઝપી

  • Published By
  • 2026-06-11 17:52:48
  • /
  • ભાજપના જ ધારાસભ્ય વિનુ મોરડિયાએ મોરચો માંડ્યો
  • બિલ્ડરોને છાવરવા આખો ખેલ ખેલાયો હોવાનો ગંભીર આક્ષેપ, કમિશનરની ભૂમિકા સામે સવાલો
  • 100 પરિવારો ઘરવિહોણા, મંજૂરી વગર બિલ્ડરોનું કામ ચાલુ છતાં SMC મૌન

સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) ના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીરનગર ખાતે થયેલા ચકચારી ભૂતિયા ડિમોલિશનને લઈને રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ગરીબ પરિવારોના 100થી વધુ મકાનો પર કોઈ પણ પ્રકારની કાનૂની પૂર્વ સૂચના વિના રાતોરાત બુલડોઝર ફેરવી દેવાના આ પ્રકરણે હવે એક નવો વળાંક લીધો છે. એક તરફ આ આખા પ્રકરણે SMC અને SOGની ઊંઘ ઉડાડી દીધી છે, બીજી તરફ જેના લીધે આ આખો ખેલ ખેલાયો તે બિલ્ડરો બેફામ બન્યાં છે. છેલ્લા 13 દિવસથી 100 પરિવારો ખુલ્લા આકાશ નીચે ઘરવિહોણા બનીને ભટકી રહ્યા છે, જ્યારે બીજી તરફ આ બેફામ બિલ્ડરોનું બાંધકામ હજુ પણ ધમધમી રહ્યું છે.

આ સમગ્ર ઘટનાક્રમમાં સુરત મહાનગરપાલિકાની કામગીરી ભારે શંકાના દાયરામાં આવી છે. સેન્ટ્રલ ઝોન વિભાગ દ્વારા વોર્ડ નં. 07, નોંધ નં. 1267, 1267/3, 1268 વાળી મિલકત સંદર્ભે એક નોટિસ જારી કરવામાં આવી છે. આ નોટિસ અનુસાર, મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ પ્રકારની મંજૂરી કે પરવાનગી લીધા વિના સ્થળ પર ગેરકાયદેસર રીતે બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

સૌથી આશ્ચર્યજનક અને શંકાસ્પદ બાબત એ છે કે, કોઈ પણ મંજૂરી વગર કામ ચાલુ હોવા છતાં SMC માત્ર બિલ્ડિંગના બેઝમેન્ટ કે પાયાનાં ખોદાણમાં માટી પુરાણ કરવાની નોટિસ આપીને સંતોષ માની રહી છે. આ નોટિસમાં ગેરકાયદેસર બાંધકામ તાકીદે તોડી પાડવા કે જવાબદારો સામે કડક કાનૂની પગલાં લેવાનો કોઈ ઉલ્લેખ નથી. ત્યારે જનતામાં એ સવાલ ઉઠી રહ્યો છે કે SMCને આ ગેરકાયદે કામ બંધ કરાવવામાં આટલો ડર કેમ લાગી રહ્યો છે ? વહીવટી તંત્રની બિલ્ડરો સાથેની આ મિલીભગત ભ્રષ્ટાચારની આશંકાઓને વધુ મજબૂત કરે છે.

આ વિવાદ હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. શાસક પક્ષ ભાજપના જ ધારાસભ્ય વિનુ મોરડિયાએ હવે SMC વિરુદ્ધ ખુલ્લો મોરચો માંડ્યો છે. તેમણે તીખા પ્રહારો કરતા જણાવ્યું છે કે, બિલ્ડરોને પાછલા બારણેથી છાવરવા માટે જ આ આખો ખેલ રચવામાં આવ્યો છે. જ્યારે મ્યુનિસિપલ કમિશનરે પોતે આ બાબતે ના પાડી હતી, તો પછી સુજલ પ્રજાપતિ અને રામજીવાલા સામે કડક પગલાં ભરીને તેમને સસ્પેન્ડ કેમ કરવામાં નથી આવતા ?  ધારાસભ્યના આ આક્રમક વલણથી પાલિકા આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

નાસીરનગર ડિમોલિશન અંગે જ્યારે મીડિયા દ્વારા મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન અને એન્જિનિયર આશિષ નાયકને પ્રશ્નો પૂછવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે બંને અધિકારીઓ મીડિયાના કેમેરા જોઈને ભાગ્યા હતા અને કોન્ફરન્સ હોલનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.

જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી રહેલા અધિકારીઓનો પક્ષ જાણવા માટે જ્યારે મીડિયાકર્મીઓએ કોન્ફરન્સ હોલમાં જવાનો પ્રયાસ કર્યો, ત્યારે ત્યાં હાજર પોલીસ તંત્ર દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા. દરમિયાન સુરક્ષા માટે તૈનાત માર્શલોએ મીડિયાકર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch