Sat,14 March 2026,1:22 am
Print
header

તુષાર મારો જ છે અને જો મારું કહ્યું નહીં માને તો પૂરો કરી નાખીશ, બિલ્ડર આપઘાત કેસમાં મહિલા મિત્રની અટકાયત

  • Published By dilip patel
  • 2026-02-21 18:20:46
  • /

સુરતઃ જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત મામલે ઉમરા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. લાંબી તપાસ બાદ પોલીસે તેમની મહિલા મિત્ર પૂનમ ભદોરિયા વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે. 

તુષાર ઘેલાણીના પરિવાર અને તેમની પુત્રીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, પૂનમ ભદોરિયા છેલ્લા ઘણા સમયથી બિલ્ડરને બ્લેકમેલ કરી રહી હતી.

છેલ્લા 15 વર્ષથી પૂનમ સાથેના સંબંધોનો લાભ ઉઠાવી તે તુષારભાઈ પાસે મિલકતો પડાવતી હતી.વેસુ સ્થિત બ્લૂ પેપીલોન' પ્રિ-પ્રાયમરી સ્કૂલમાં તમામ રોકાણ તુષારભાઈનું હોવા છતાં, બદનામ કરવાની ધમકી આપી પૂનમે 50 ટકા ભાગીદારી લખાવી લીધી હતી.

પૂનમે ધમકી આપી હતી કે જો બાકીની મિલકતોમાં પણ 50 ટકા હિસ્સો નહીં મળે તો તે તુષારભાઈનું જીવવાનું હરામ કરી દેશે. તુષારભાઈની પુત્રીએ પોલીસને જણાવ્યું કે જ્યારે તેના પિતા ઉદાસ રહેતા હતા, ત્યારે તેમણે પોતાની ભૂલ સ્વીકારી પૂનમ દ્વારા થઈ રહેલા માનસિક અને આર્થિક શોષણની વાત કરી હતી. પુત્રીએ પિતાને હિંમત આપી હતી અને જુલાઈ-2025માં પોતાની બહેન સાથે પૂનમના ઘરે જઈ તેને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, પૂનમે ત્યારે પણ ઉદ્ધત વર્તન કરી ધમકી આપી હતી કે, તુષાર મારો જ છે અને જો તે મારું કહ્યું નહીં માને તો તેને પૂરો કરી નાખીશ. તેની તમામ મિલકતમાં મારે અડધો ભાગ જોઈએ છે.

દીકરીના લગ્નમાં પૂનમ હોબાળો કરશે અને સમાજમાં પરિવારની બદનામી થશે તેવા સતત ડર અને માનસિક ત્રાસને કારણે તુષાર ઘેલાણીએ આખરે આપઘાત કરી લીધો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

શરૂઆતમાં પૂનમ ભદોરિયાએ પણ સામી અરજી કરી પરિવાર પર આક્ષેપો કર્યા હતા, પરંતુ પોલીસની ઊંડી તપાસમાં પૂનમની સીધી સંડોવણી અને બ્લેકમેલિંગના પુરાવા મળતા તેની ધરપકડ કરવામાં આવી છે. ઉમરા પોલીસે હવે આ દિશામાં વધુ કાયદેસરની તપાસ તેજ કરી છે.

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીએ પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વર વડે ગોળી મારીને આ મહિનાની શરૂઆતમાં આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યાં બાદ પરિવારજનો દ્વારા અંગદાનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અંગદાનની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ તેમને કાર્ડિયાક એરેસ્ટ આવતાં મોત થયું હતું. જોગાનુજોગ તે દિવસ તેમની દીકરીના લગ્નનો દિવસ હતો. દીકરીના લગ્નનો દિવસ જ મૃત્યુ તિથિ બની જતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch