Wed,15 July 2026,12:57 am
Print
header

ઓમાનના દરિયામાં જહાજ પર અમેરિકાએ કર્યો હુમલો, ત્રણ ભારતીયોના મોત બાદ ભારતનું કડક વલણ

  • Published By Panna Patel
  • 2026-06-11 09:03:45
  • /

ઓમાનઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ક્યારે સોદો થશે તે અંગે અનિશ્ચિતતા વધી રહી છે. બંને દેશો વચ્ચે ફરી એકવાર દુશ્મનાવટ વધી છે. ઈરાને એક અમેરિકન લશ્કરી અપાચે હેલિકોપ્ટરને તોડી પાડ્યું હતું, જેના કારણે અમેરિકાએ બદલો લેવા માટે હુમલો કર્યો હતો. ત્યાર બાદ, ઈરાને મધ્ય પૂર્વમાં અનેક અમેરિકન ઠેકાણાઓ પર મિસાઈલ છોડી હતી. આ ચાલુ તણાવ વચ્ચે, હવે ઓમાનના દરિયાકાંઠે એક જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે. એપી અનુસાર, યુએસ સૈન્યએ જણાવ્યું છે કે તેણે ઈરાની બંદરો પર લાદવામાં આવેલી નાકાબંધીનું ઉલ્લંઘન કરીને ઈરાનથી તેલ પરિવહન કરવાનો પ્રયાસ કરી રહેલા ઓઇલ ટેન્કર પર ગોળીબાર કર્યો હતો. હવે એવું બહાર આવ્યું છે કે જહાજ પર 24 ભારતીય ક્રૂ સભ્યો હતા, જેમાંથી ત્રણના મોત થઇ ગયા છે. ભારત સરકારે જહાજ પરના આ હુમલા સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે.

વિદેશ મંત્રાલયે અમેરિકી અધિકારીને સમન્સ પાઠવ્યાં

ઉપલબ્ધ માહિતી અનુસાર, ભારત સરકારે ઓમાનના દરિયાકાંઠે એક જહાજ પર થયેલા હુમલા અંગે કડક વલણ અપનાવ્યું છે. ભારતે ઓમાનના દરિયાકાંઠે વ્યાપારી જહાજ સેટેબેલો પર થયેલા હુમલાની નિંદા કરી છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે યુએસ ચાર્જ ડી અફેર્સ, જેસન મીક્સને સમન્સ પાઠવ્યું છે. ભારતે પ્રદેશમાં તણાવ ઓછો કરવા, વાણિજ્યિક શિપિંગની સલામતી સુનિશ્ચિત કરવા અને આંતરરાષ્ટ્રીય પાણીમાં સલામત નેવિગેશન પુનઃસ્થાપિત કરવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો છે. વિદેશ મંત્રાલયના અધિક સચિવ (અમેરિકા) નાગરાજ નાયડુએ યુએસ ચાર્જ ડીઅફેર્સ, જેસન મીક્સને સમન્સ પાઠવ્યું છે.

ઓમાનમાં ભારતીય દૂતાવાસે શું કહ્યું ?

ઓમાનમાં ભારતીય દૂતાવાસે આ ઘટનાની જાણ કરી હતી. દૂતાવાસે જણાવ્યું કે, અમને ઓમાનના દરિયાકાંઠે એક જહાજ સાથે જોડાયેલી ઘટનાની જાણ થઈ છે. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ. અમે ટૂંક સમયમાં વધુ માહિતી આપીશું.

ઈરાને કિંમત ચૂકવવી પડશે - ટ્રમ્પ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર વધુ હુમલાઓની ધમકી આપી છે. આ ધમકી ઈરાન દ્વારા યુએસ હેલિકોપ્ટરને તોડી પાડવામાં આવ્યાં બાદ આવી છે. બુધવારે, ટ્રમ્પે કહ્યું, ઈરાનની સેના સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. ઈરાનની મોટાભાગની સેના - જેમ કે નૌકાદળ અને વાયુસેના - હવે અસ્તિત્વમાં નથી. તેઓ સંપૂર્ણપણે પરાજિત થઈ ગયા છે. ઈરાન ફક્ત વાતો કરે છે અને કોઈ કાર્યવાહી નથી. જે ​​દેશ મધ્ય પૂર્વમાં પોતાનું જોર લગાવતો હતો તે હવે સમાપ્ત થઈ ગયો છે. તેમણે એક એવા સોદાની વાતચીત કરવામાં ઘણો સમય વિતાવ્યો જે તેમના માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. હવે, તેમને કિંમત ચૂકવવી પડશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch