Sat,08 August 2026,10:03 pm
Print
header

કેનેડા જવાનું સપનું બતાવીને રૂ. 2.5 કરોડની છેતરપિંડી, નકલી વિઝા લેટર કૌભાંડનો પર્દાફાશ

  • Published By Panna Patel
  • 2026-08-05 09:17:47
  • /

વડોદરાઃ કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષર ફોરેન એજ્યુકેશન કન્સલ્ટન્સીના સંચાલક અનિત (ઉર્ફે અતીત) બારોટ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેમના પર કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને 17 લોકો સાથે રૂ. 2,30,95,600 થી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે. આ ફરિયાદ ધવલભાઈ દ્વારા નોંધાવવામાં આવી છે. કારેલીબાગ પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડ માત્ર વડોદરા પૂરતું સીમિત નથી. ગાંધીનગર, ખેડા, અંકલેશ્વર, અમદાવાદ અને આણંદના લોકો પણ તેનો ભોગ બન્યા છે. કેનેડા મોકલવાના બહાને લોકો પાસેથી રૂ. 3 લાખથી લઈને રૂ. 22 લાખ સુધીની રકમ વસૂલવામાં આવી હતી. આ મામલે જોવિવેલ ક્રિસ્ટી, જયદીપ રબારી, ભગીરથ સંગાણી અને કેતન ઠક્કર સહિતના અનેક લોકોના નામ સામે આવ્યાં છે.

ફરિયાદી ધવલભાઈ તેમના પરિવાર સાથે વડોદરામાં રહે છે અને એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે. ફેબ્રુઆરી 2024 માં, તેમણે વર્ક પરમિટ પર કેનેડા જવાનું નક્કી કર્યું. આ દરમિયાન, તેમની પત્નીના સહકર્મચારી પિયુષ શાહ મારફતે તેમનો સંપર્ક અક્ષર ફોરેન એજ્યુકેશનના અતીત બારોટ સાથે થયો હતો.

પીયૂષ શાહે જણાવ્યું હતું કે તેઓ પણ કેનેડા જવા ઈચ્છતા હતા અને આ અંગે અતીત બારોટ સાથે વાતચીત કરી રહ્યા હતા. ત્યારબાદ, ધવલભાઈએ તેમના વિઝા અંગે ચર્ચા કરવા માટે પત્ની સાથે અતીત બારોટની મુલાકાત લીધી હતી.

ફરિયાદ અનુસાર, અતીત બારોટે જણાવ્યું હતું કે તેમને કેનેડા મોકલવાનો કુલ ખર્ચ રૂ.17 લાખ થશે. અડધી રકમ અગાઉથી ચૂકવવાની રહેશે, જ્યારે બાકીની રકમ કેનેડા પહોંચ્યા બાદ તેમના પગારમાંથી કાપી લેવામાં આવશે. ત્યારબાદ ધવલભાઈએ સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝ્ડ કરાર કર્યો અને બેંક ટ્રાન્સફર તથા ચેક દ્વારા અતીત બારોટના ખાતામાં લાખો રૂપિયા જમા કરાવ્યા. રકમ મેળવ્યા બાદ આરોપીએ ATCO Ltd કંપની તરફથી કથિત LMIA પત્ર ઈમેલ દ્વારા મોકલ્યો હતો.

બાદમાં, ધવલભાઈએ પત્રની ચકાસણી માટે કંપનીને ઈમેલ કર્યો. ત્યાર બાદ તેમને ખબર પડી કે પત્ર સંપૂર્ણપણે ખોટો અને છેતરપિંડીભર્યો હતો. તેમણે પોતાના પૈસા પાછા માંગ્યા. આરોપીએ રૂ. 7.80 લાખનો ચેક આપ્યો હતો, પરંતુ બેંકમાં જમા કરાવતા તે બાઉન્સ થઈ ગયો. જેથી ધવલભાઈએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસનું કહેવું છે કે વિદેશ પ્રવાસ કરવા માંગતા વ્યક્તિઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કેસમાં કારેલીબાગ પોલીસે અતિત બારોટ વિરુદ્ધ છેતરપિંડી સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch