Wed,15 July 2026,1:24 am
Print
header

કેતન અગ્રવાલ હત્યા કેસ: સિયાના બેકગ્રાઉન્ડ પર કેતનને હતી શંકા, પિતાને ત્રણ વાર પૂછી હતી આ વાત

  • Published By
  • 2026-06-30 18:22:26
  • /

નરેન્દ્ર મિત્તલ હતા બંને પરિવારોની કડી

કેતન અગ્રવાલની સિયા અને તેના બોયફ્રેન્ડે કરી નાખી હતી હત્યા

પુણેઃ કેતન અગ્રવાલ હત્યાકાંડની તપાસમાં નવી વાત સામે આવી છે. પીડિતે પહેલા પોતાના પિતાને પોતાની મંગેતર અને મુખ્ય આરોપી સિયા ગોયલના બેકગ્રાઉન્ડ વેરિફિકેશન વિશે પૂછ્યું હતું. તેને શંકા હતી કે સિયાનું તેના પ્રેમી અને સહ-આરોપી ચેતન ચૌધરી સાથે અફેર છે, કારણ કે તે અવારનવાર તેનો ઉલ્લેખ કરતી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે પીડિતે ત્યાર બાદ તેના પિતાને પૂછ્યું હતું કે શું તેમને પાક્કી ખાતરી છે કે સિયાના બેકગ્રાઉન્ડની બરાબર તપાસ કરવામાં આવી હતી. કેતનને કહ્યું હતું કે જ્યારે પણ તે સિયાને ફોન કરતો ત્યારે તેનો ફોન મોટેભાગે વ્યસ્ત  આવતો હતો.

એફઆઈઆરમાં નોંધાયેલા કેતનના પિતા વિશાલ અગ્રવાલના નિવેદન મુજબ, બંને પરિવારો વચ્ચે એક કોમન કડી હતા નરેન્દ્ર મિત્તલ, તેઓ જ સિયાના લગ્નનું માગું તેમના પરિવાર પાસે લાવ્યાં હતા અને કહ્યું હતું કે સિયા તેમના જીજાજીની પુત્રી છે. અગાઉ એવા સમાચાર આવ્યાં હતા કે ગોયલ અને અગ્રવાલ પરિવાર સંબંધી હતા. બંને પરિવારો વચ્ચે નરેન્દ્ર મિત્તલ મુખ્ય કડી હતા. નરેન્દ્ર મિત્તલના બહેનના લગ્ન પ્રવીણ ગોયલ સાથે થયા હતા, તેથી તેઓ સિયાના મામા અને વિશાલ અગ્રવાલના પિતરાઈ ભાઈ  થતા હતા અને બંને પરિવારોમાં તેમને અંકલ માનવામાં આવતા હતા.

પહેલેથી જ પારિવારિક સંબંધ હોવાને કારણે અગ્રવાલ પરિવાર આ સંબંધ માટે માની ગયો હતો. સિયાને મળ્યાં પછી તેમને તે ગમી ગઈ અને ફેબ્રુઆરીમાં પુણેના બંડ ગાર્ડનમાં સગાઈની વિધિ થઈ હતી. હત્યાની તપાસથી જાણવા મળ્યું છે કે સગાઈના થોડા સમય બાદ જ કેતને તેના પિતાને પૂછ્યું હતું કે શું તેમણે સિયા ગોયલના બેકગ્રાઉન્ડની બરાબર તપાસ કરી છે કે નહીં ? તેમને ખાતરી આપવામાં આવી હતી કે નરેન્દ્ર મિત્તલે બધું જ ચેક કરી લીધું છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી. સૂત્રોના જણાવ્યાં અનુસાર, કેતને પિતાના ભરોસાને માની લીધો અને શાંત રહેવાનું નક્કી કર્યું.

ત્યારબાદ જ્યારે પરિવાર મુંબઈ એરપોર્ટ પરથી પ્રી-વેડિંગ શૂટ માટે ઈન્ડોનેશિયા જવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે કેતનનો પાસપોર્ટ ખોવાઈ ગયો. આ ઘટના પછી તેણે ફરીથી તેના પિતાને સિયા વિશે સવાલ કર્યો હતો. સૂત્રોનાં જણાવ્યા મુજબ, કેતને તેમને કહ્યું કે સિયા નાની-નાની વાતો પર અવારનવાર ઝઘડો કરે છે અને પૂછ્યું કે શું ખરેખર તેના બેકગ્રાઉન્ડની તપાસ કરવામાં આવી હતી ?

કેતને જણાવ્યું કે જ્યારે તે તેની સાથે હોય છે ત્યારે પણ અવારનવાર ચેતન ચૌધરી વિશે વાતો કરતી હતી. પછી તેણે તેના પિતાને પૂછ્યું, શું સિયાનું કોઈની સાથે અફેર ચાલી રહ્યું છે ? વિશાલ અગ્રવાલે ત્રીજી વખત પોતાના પુત્રને ખાતરી આપી કે સિયા તેમના મોટા પરિવારનો જ એક ભાગ છે અને નરેન્દ્ર મિત્તલ દ્વારા બધું જ બરાબર વેરિફાય કરી લેવામાં આવ્યું છે, તેથી તેને ચિંતા કરવાની જરૂર નથી.  

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch