Wed,15 July 2026,12:26 am
Print
header

અમદાવાદમાં 20 દિવસની બાળકીને 1 લાખ રૂપિયામાં વેંચી દેવાઇ, જાણો શું છે સમગ્ર મામલો ?

  • Published By Panna Patel
  • 2026-07-07 09:18:26
  • /

અમદાવાદઃ વટવા વિસ્તારમાં એક મહિલા પર બીજાની બાળકીને 1.50 લાખ રૂપિયામાં વેચી દેવાનો આરોપ છે. આ કેસની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, બાળકીને વેચવાનો આરોપ જે મહિલા પર છે, તે બાળકીના પિતાની મુખબોલી બહેન છે. પોલીસે આ કેસના સંબંધમાં ચાર મહિલાઓની ધરપકડ કરી છે. નવજાત બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢી તેની માતાને સોંપવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું છે કે તપાસ ચાલુ છે અને બાળકના માતા-પિતાની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. 

વટવાના રહેવાસી રોકી ચરણે ઓટો-રિક્ષા ખરીદવા માટે પોતાની મુખબોલી બહેન જાગૃતિ સુથાર પાસેથી 1 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. રોકીએ આ રકમ હપ્તામાં ચૂકવવાનું વચન આપ્યું હતું, પરંતુ આર્થિક મુશ્કેલીઓ અને તેની પત્ની રાધાની ગર્ભવતી હોવાને કારણે તે પૈસા ચૂકવી શક્યો નહીં.

આ સમયગાળા દરમિયાન, રાધાએ એક દીકરીને જન્મ આપ્યો. જન્મના લગભગ 20 દિવસ પછી, રાધા અને રોકી જાગૃતિના ઘરે ગયા, જેને તેઓ બહેન માનતા હતા. જાગૃતિએ તેમને કહ્યું હતું કે જો તેઓ પોતાની દીકરી તેને સોંપી દે તો તે રૂ. 1 લાખ માફ કરી દેશે. તેણે બાળકીના બદલામાં વધારાના રૂ.1 લાખ આપવાની ઓફર કરી અને વચન આપ્યું કે બાળકીનો ઉછેર સારા ઘરમાં કરવામાં આવશે.

રાધા અને રોકીએ આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. જો કે, લગભગ દસ દિવસ પછી જાગૃતિ તેમના ઘરે આવી અને બાળકને પોતાની સાથે લઈ ગઈ. બાદમાં, જ્યારે રાધા અને રોકી રાત્રિભોજન માટે જાગૃતિના ઘરે ગયા, ત્યારે ત્યાં બાળકી ન હતી. જ્યારે તેમણે બાળકી વિશે પૂછ્યું, ત્યારે જાગૃતિએ જણાવ્યું કે તેણે બાળકીને એક સારા પરિવારને વેચી દીધી છે અને ત્યાં બાળકને કોઈ મુશ્કેલી નહીં પડે.

જ્યારે રાધાએ તેનું બાળક પાછું માંગ્યું, ત્યારે જાગૃતિએ અગાઉ આપેલા એક લાખ રૂપિયા પાછા માંગ્યા,  બાળક પાછું ન મળતાં, રાધાએ 4 જુલાઈના રોજ વટવા પોલીસ સ્ટેશનમાં જાગૃતિ સુથાર વિરુદ્ધ FIR નોંધાવી. વટવા પોલીસના જણાવ્યું કે ફરિયાદ મળ્યાં બાદ તરત જ અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં જાગૃતિને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી હતી, આ પૂછપરછના આધારે પોલીસે જાગૃતિ સહિત ચાર મહિલાઓની ધરપકડ કરી હતી.

તપાસમાં બહાર આવ્યું છે કે જાગૃતિએ કૃષ્ણા અને મંજુલા નામની બે મહિલાઓની મદદથી એક મહિનાની બાળકીને નડિયાદની રહેવાસી ગીતા પ્રજાપતિને રૂ. 1.50 લાખમાં વેચી હતી. કૃષ્ણાએ નડિયાદમાં ગીતાને બાળકી સોંપવાની કામગીરી કરી હતી અને તેની પાસેથી રકમ પણ મેળવી હતી. જાગૃતિ અને કૃષ્ણા વચ્ચે સંપર્ક કરાવવામાં મંજુલાએ મદદ કરી હતી. મંજુલા એક IVF સેન્ટરમાં કામ કરે છે. જોકે, તપાસમાં અત્યાર સુધી એ સ્પષ્ટ થયું છે કે આ સમગ્ર મામલામાં તે IVF સેન્ટરની કોઈ ભૂમિકા ન હતી.

બાળકીના વેચાણથી મળેલી રૂ. 1.50 લાખની રકમ જાગૃતિ, કૃષ્ણા અને મંજુલા વચ્ચે વહેંચવાની હતી. જાગૃતિને માત્ર રૂ. 5,000 જ મળ્યા હતા. બાકીની રકમ કોને મળી અને અન્ય આરોપીઓને કેટલા પૈસા મળ્યા તે જાણવા માટે હાલ તપાસ ચાલી રહી છે. બાળકી હાલ તેના માતા-પિતા સાથે સુરક્ષિત છે. જો કે, આ કેસના અન્ય એક પાસાની પણ તપાસ કરવામાં આવી રહી છે. બાળકીને લગભગ દસ દિવસ પહેલાં વેચી દેવામાં આવી હતી, તેમ છતાં FIR 4 જુલાઈએ નોંધવામાં આવી હતી. આ વિલંબ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન જાગૃતિએ દાવો કર્યો હતો કે બાળકીનાં માતા-પિતા પણ આ વેચાણ વિશે જાણતાં હતાં. રાધા અને રોકીની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. જો તપાસમાં બાળકીના માતા-પિતાની કોઈ સંડોવણી બહાર આવશે, તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch