Mon,13 April 2026,1:08 pm
Print
header

ઈઝરાયેલનો ચોંકાવનારો દાવો: ઈરાનની મિસાઈલની 4000 કિમી રેન્જથી યુરોપ અને ભારત પર તોળાઈ રહ્યો છે ખતરો

  • Published By dilip patel
  • 2026-03-22 09:54:08
  • /

તેલ અવીવ: ઈઝરાયેલે ચેતવણી ઉચ્ચારી છે કે હિંદ મહાસાગરમાં અમેરિકા-બ્રિટનના સૈન્ય બેઝ ડિયેગો ગાર્શિયા પર થયેલા હુમલા બાદ હવે ઈરાની મિસાઈલો યુરોપ માટે સીધો ખતરો બની ગઈ છે. ઈઝરાયેલી સેનાએ જણાવ્યું કે, યુદ્ધ શરૂ થયા પછી પ્રથમ વખત ઈરાને લાંબા અંતરની મિસાઈલો છોડી છે, જે સાબિત કરે છે કે તે લંડન, પેરિસ કે બર્લિન જેવા શહેરો સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં સેનાએ દાવો કર્યો છે કે આ મિસાઈલો 4000 કિમી સુધી પ્રહાર કરી શકે છે. જેનો અર્થ છે કે યુરોપ, એશિયા અને આફ્રિકાના ડઝનબંધ દેશો હવે ઈરાનના નિશાના પર છે. IDF દ્વારા શેર કરવામાં આવેલા નકશા મુજબ, આ નવી રેન્જમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

ઈઝરાયેલી સેનાએ વધુમાં ઉમેર્યું કે, અમે સતત કહેતા આવ્યાં છીએ કે ઈરાની આતંકવાદી શાસન એક વૈશ્વિક ખતરો છે. હવે તેમની પાસે એવી મિસાઈલો છે જે લંડન કે પેરિસ સુધી પહોંચી શકે છે. જૂન 2025 ના ઓપરેશન દરમિયાન જ ખુલાસો થયો હતો કે ઈરાન 4000 કિમીની મારક ક્ષમતા ધરાવતી મિસાઈલો બનાવી રહ્યું છે, જોકે ત્યારે ઈરાને આ વાતનો ઇનકાર કર્યો હતો.

શનિવારે અમેરિકી મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઈરાને ડિયેગો ગાર્શિયા બેઝ પર બે બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. જોકે, બંને મિસાઈલો બેઝને નુકસાન પહોંચાડવામાં નિષ્ફળ રહી હતી. એક મિસાઈલ હવામાં જ નષ્ટ થઈ ગઈ હતી, બીજી મિસાઈલ માટે ઈન્ટરસેપ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું.

નિષ્ણાંતોના મતે ડિયેગો ગાર્શિયા ઈરાનથી લગભગ 3800 કિમી દૂર છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે ઈરાનની મિસાઈલ ક્ષમતા માત્ર 2000 કિમી સુધીની છે, પરંતુ આ હુમલાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. જો કે ઇરાનના ભારત સાથે કોઇ તનાવપૂર્ણ સંબંધો નથી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch