Wed,15 July 2026,12:34 am
Print
header

ભરૂચમાં ડબલ મર્ડર, સસરાએ પુત્રવધૂ અને વેવાણની કરી હત્યા, પોતે પણ આપઘાતનો કર્યો પ્રયાસ

  • Published By
  • 2026-06-11 16:54:54
  • /

ભરૂચઃ સસરાએ પુત્રવધૂ અને વેવાણની હત્યા કરીને પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વ્હોરાવાડ અને કોઠી વિસ્તારમાં એક હચમચાવી દેનારી ડબલ મર્ડરની ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. 

પ્રાથમિક માહિતી મુજબ, એક વૃદ્ધ વ્યક્તિએ પોતાની પુત્રવધૂ અને તેની માતા પર ચપ્પુથી જીવલેણ હુમલો કરી બંનેની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ આરોપીએ પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતાં ગંભીર ઈજાઓ સાથે સારવાર હેઠળ છે. પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર, કોઠી વિસ્તારમાં રહેતા ઝૈનુલ અબ્બાસ ઝનોરવાલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાની પુત્રવધૂ અલીફિયા યુસુફભાઈ ઝનોરવાલા તથા વ્હોરાવાડ વિસ્તારમાં રહેતી તેની માતા શહેનાઝબેન નમકવાલા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં બંને મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. 

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ઝૈનુલ અબ્બાસ ઝનોરવાલાએ પહેલા કોઠી વિસ્તારમાં પોતાની પુત્રવધૂ અલીફિયાની હત્યા કરી હતી અને ત્યારબાદ વ્હોરાવાડ વિસ્તારમાં જઈ તેની માતા શહેનાઝબેન નમકવાલાને પણ મોતને ઘાટ ઉતારી હતી. બંને હત્યાઓ બાદ આરોપીએ પોતાના હાથ, પગ અને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેને ભરૂચ સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ભરૂચ બી ડિવિઝન પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

પોલીસે જણાવ્યું કે કોઠી વિસ્તાર અને પારસીવાડ વિસ્તારમાં આવેલા બે અલગ-અલગ મકાનોમાંથી બે મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન બંનેના મોત તીક્ષ્ણ હથિયારથી થયેલા હુમલાના કારણે થયા હોવાનું સામે આવ્યું છે. મૃતકો અલીફિયાબેન અને શહેનાઝબેન માતા-પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઘરેલુ કંકાસના કારણે અલીફિયાબેનના સસરા ઝૈનુલભાઈ અબ્બાસભાઈએ આ હત્યાઓ કરી હોવાનું જણાઈ રહ્યું છે.

જોકે, ઘટનાના ચોક્કસ કારણો જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અલીફિયાના પતિ ડો. યુસુફ ઝનોરવાલા BHMS ડિગ્રી ધરાવતા હોમિયોપેથી તબીબ છે અને કોઠી વિસ્તારમાં બુરહાની ક્લિનિક નામે ફેમિલી ફિઝિશિયન તરીકે સેવા આપે છે. દંપતીને સંતાનમાં બે દીકરીઓ હોવાનું જાણવા મળ્યું છે. દિવસદહાડે બનેલી આ ડબલ મર્ડરની ઘટનાએ સમગ્ર ભરૂચ શહેરને હચમચાવી નાખ્યું છે. પોલીસ દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઘટનાની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch