Sat,13 June 2026,2:58 pm
Print
header

NEET પેપર લીક વિવાદઃ અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રીનો NSUIએ કર્યો ઉગ્ર વિરોધ

  • Published By Panna Patel
  • 2026-05-14 16:54:51
  • /
  • કાળા વાવટા બતાવીને મંત્રીના કાફલાને રોકવાનો પ્રયાસ
  • શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ કરાઇ

અમદાવાદઃ દેશભરમાં NEET પરીક્ષાના પેપર લીક કાંડને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વ્યાપેલા આક્રોશ વચ્ચે અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યક્રમમાં હોબાળો મચ્યો હતો. પેપર લીક વિવાદના ભયથી મંત્રીની આ મુલાકાતને અત્યંત ગુપ્ત રાખવામાં આવી હોવા છતાં, NSUI ના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરીને તંત્રની ઊંઘ હરામ કરી દીધી હતી.

સામાન્ય રીતે કેન્દ્રીય મંત્રીના પ્રવાસની વિગતો મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવતી હોય છે, પરંતુ NEET વિવાદના કારણે આજે ધર્મેન્દ્ર પ્રધાનની IIM અમદાવાદની મુલાકાત ખાનગી રાખવામાં આવી હતી. તેમ છતાં, વિરોધની આશંકાએ IIM બહાર વહેલી સવારથી જ પોલીસનો કડક પહેરો ગોઠવી દેવાયો હતો.

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જ્યારે IIM અમદાવાદ ખાતેનો પોતાનો કાર્યક્રમ પૂર્ણ કરી બહાર નીકળી રહ્યાં હતા, ત્યારે અચાનક જ NSUI ના કાર્યકરો કાળા કપડાં પહેરી અને હાથમાં કાળા વાવટા લઈને રસ્તા પર ઉતરી આવ્યાં હતા. કાર્યકરોએ મંત્રીના કાફલાને રોકવાનો પ્રયાસ કરતા વાતાવરણ તંગ બની ગયું હતું. જો કે, સ્થળ પર હાજર પોલીસે કાર્યવાહી કરી વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.

આ વિરોધ પ્રદર્શન અંગે ગુજરાત NSUIના પ્રદેશ મહામંત્રી વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું કે, લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર NEET પેપર લીક કાંડ માટે કેન્દ્રીય મંત્રીએ નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ. આ કૌભાંડમાં મંત્રી કે તેમના મળતિયાઓની સંડોવણી હોવાની શંકા છે, તેથી અમે તેમના રાજીનામાની માંગ કરીએ છીએ. જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch