Wed,22 January 2025,3:43 pm
Print
header

બનાસકાંઠાના બે ફાડિયા લોકોને નથી આવી રહ્યાં પસંદ, શિહોરીમાં સજ્જડ બંધ- Gujarat Post

સાંસદ ગેનીબેન ઠાકોરે વિભાજનના નિર્ણયને એકતરફી ગણાવ્યો

કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના આ નિર્ણયને ખોટો ગણાવ્યો

થરાદઃ નવા વર્ષની શરૂઆતમાં સરકારે બનાસકાંઠાના બે ભાગલા પાડીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કર્યો હતો. સરકારના આ નિર્ણયનો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. થરાદમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ધાનેરા અને કાંકરેજના શિહોરીમાં નારાજગી જોવા મળી રહી છે. બંને તાલુકાવાસીઓ બનાસકાંઠામાં રહેવા માંગે છે. સરહદી વિસ્તાર તરીકે ઓળખાતા બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદની નવા જિલ્લાની શરૂઆત સાથે વિરોધના સૂર રેલાયા છે. કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે મામલતદારને લેખિતમાં રજૂઆત પણ કરાઈ છે.

વાવ-થરાદ જિલ્લામાં કાંકરેજનો સમાવેશ કરવામાં આવતાં શિહોરીના વેપારીઓએ દુકાનો સજ્જડ બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુરૂવારે વહેલી સવારથી જ શિહોરની બજારોમાં સ્વયંભૂ બંધ રાખવામાં આવતાં સન્નાટો છવાઇ ગયો છે. શિહોરીવાસીઓની માંગ છે કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં યથાત રાખવામાં આવે.

બનાસકાંઠા જિલ્લાના વિભાજનના સરકારના નિર્ણયને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે  સરકારના આ વિભાજનના નિર્ણયને એકતરફી ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે કોઈ ગ્રામ પંચાયતનું પણ વિભાજન કરવું હોય તો પણ ગ્રામ પંચાયતનો ઠરાવ, તો તાલુકા પંચાયતનું વિભાજન કરવું હોય તો ઠરાવ અને સૂચનો લેવામાં આવતા હોય છે પણ આ વખતે કોઈ સરપંચો, તાલુકાના આગેવાનો કે ધારાસભ્યો કે ચૂંટાયેલા પદાધિકારીઓનો અભિપ્રાય લીધા નથી. આ એક તરફી જિલ્લાનું વિભાજન છે, લોકોને વિશ્વાસમાં લઈને વિભાજન કર્યું હોત તો બધા રાજી રહ્યાં હોત.

કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના આ નિર્ણયને ખોટો ગણાવ્યો છે. સરકારે કોઇપણ ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના આ નિર્ણય લીધો છે. કાંકરેજ તાલુકાનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં થવો જોઇએ. ધાનેરાનો પણ વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલે પણ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ધાનેરા તાલુકાના લોકોને વાવ-થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે. ધાનેરાવાસીઓ માટે ધાનેરા અનુકૂળ વિસ્તાર નથી. જો ભવિષ્યમાં લોકો સરકારના આ નિર્ણયના વિરોધમાં આંદોલન કરશે તો કૉંગ્રેસ તેમની સાથે ઉભી રહેશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch